અમેરિકાએ ભારતના કોફી, ચા, મસાલા, ટ્રોપિકલ ફ્રુટ્સ અને ફ્રુટ જ્યૂસ જેવા પ્રોડક્ટ્સ પર લગાવેલા 50% રેસિપ્રોકલ ટેરિફને પાછો ખેંચી લીધો છે. આનાથી લગભગ 1 અબજ ડોલર (આશરે ₹9,000 કરોડ)ના કૃષિ નિકાસને મોટી રાહત મળશે.
આ છૂટ 12 નવેમ્બરના રોજ વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ ઓર્ડરથી જારી થઈ અને 13 નવેમ્બરથી લાગુ થઈ ગઈ છે. અમેરિકાએ રશિયન તેલ ખરીદવાના કારણે ભારત પર 50% ટેરિફ લગાવ્યો હતો. અમેરિકામાં ખાણી-પીણીની વસ્તુઓના ભાવ સતત વધવાના કારણે ટ્રમ્પ પ્રશાસન બેકફૂટ પર આવી ગયું.
નાણાકીય વર્ષ 2025માં ભારતનો અમેરિકાને કૃષિ નિકાસ 2.5 અબજ ડોલર (₹22 હજાર કરોડ)નો હતો, જેમાંથી ₹9 હજાર કરોડનો નિકાસ હવે ટેક્સ-ફ્રી થઈ ગયો છે.
આ વાતની જાણકારી કોમર્સ મિનિસ્ટ્રીએ 17 નવેમ્બરના રોજ આપી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ કહ્યું કે આનાથી ભારતીય નિકાસકારોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળશે.
ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ હવે લગભગ અંતિમ ચરણમાં છે. ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે, અમેરિકાની ભારતીય બજારમાં પહોંચની માગ, 25% રેસિપ્રોકલ ટેરિફ અને કાચા તેલ પર વધારાની 25% ડ્યૂટી જેવા મુદ્દાઓ પર સહમતિ લગભગ સધાઈ ચૂકી છે. તેમણે કહ્યું કે અમે જલદી જ તેને અંતિમ સ્વરૂપ આપીશું. બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પર આ વર્ષે ફેબ્રુઆરીથી વાતચીત ચાલી રહી છે.