રાજકોટમાં વધુ એક યુવાને ટૂંકા ગાળામાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટના રહેવાસી અને ટુરિઝમ ધંધા સાથે સંકળાયેલ યુવાનને તેના મિત્ર થકી અન્ય એક હર્ષદીપ ખાચર નામના શખ્સ સાથે પરિચય થયો હતો, જેમને અન્ય બે શખ્સો સાથે મળી યુવાનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહી તેમાં 7થી 30% સુધી મસમોટું વળતર મળશે એવી લાલચ આપી હતી અને સાંજ સુધીમાં રૂપિયા પરત મળશે તેમ કહી 13.71 લાખ પડાવી રૂપિયા પરત ન આપી છેતરપિંડી આચરી હતી.
જોકે, યુવાને રૂપિયા પરત માંગતા આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવા ધમકી આપી આજ દિવસ સુધી રૂપિયા પરત ન આપતા અંતે ફરિયાદ નોંધાવતા પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદના આધારે આરોપી હર્ષદીપ ખાચર, જયવીર અને ઉકાભાઇ નામના શખસની શોધખોળ હાથ ધરી છે.
7%થી લઈને 30% સુધી નફો મળશે એવી લાલચ આપી ફરિયાદી મોહનભાઈ લક્ષ્મણભાઈ ચાંડપાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી એક મહિના પહેલા મારા મિત્ર અભિષેક ભોજાણી થકી મારે હર્ષદીપભાઈ ખાચર સાથે પરિચય થયો હતો. હર્ષદીપે મને રૂબરૂ મળ્યા ત્યારે જણાવ્યું હતું કે, તમારી પાસે રોકડા રૂપિયા હોય તો મારી પાસે સારો બિઝનેસ છે, જેમા તમને 7%થી લઈને 30% સુધી નફો મળશે એવી લાલચ આપી હતી. આ પછી હર્ષદીપ ખાચરે મને ક્રીપ્ટો કરન્સીમા રોકાણ કરવાનું કહી સારો નફો અપાવીશ એવી લાલચ આપી હતી.
જેથી, મે 2.12.2025ના રોજ મારા મિત્ર અભિષેક ભોજાણીએ હર્ષદીપ ખાચરને ફોન કરી અને જણાવ્યું કે અમારી પાસે રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે. જેથી, હર્ષદીપ ખાચરે યાજ્ઞિક રોડ પી.એમ.આગંડીયા પેઢી પાસે બોલાવ્યા હતા જ્યાં બપોરના 1.30 વાગ્યાની આસપાસ હુ અને મારા મિત્ર અભીષેક ભોજાણી હર્ષદીપ ખાચરને મળ્યા હતા.