હાર્દિક મોરાણિયા ( રાજકોટ )
રાજકોટ / રાજકોટનું એક એવું યુગલ જે હજારો લોકો માટે એક નહીં પરંતુ અનેક રીતે પ્રેરણાદાયી બન્યું છે. 23 વર્ષીય અભિષેક વ્યાસ અને 22 વર્ષીય પાયલ વેગડાના વેવિશાળ તાજેતરમાં જ થયા છે. બંને થેલિસિમિયા મેજર છે. થેલેસેમિયા મેજર નવદંપતિ જીવનમાં આવી પડેલી મુશ્કેલીથી ડર્યા વિના ઘૂઘરા વેંચી ખુમારીથી જીવન જીવી રહ્યા છે.
શહેરના કાલાવડ રોડ પર રેકડી રાખી ઘૂઘરા વેંચતા ૨૩ વર્ષીય અભિષેક વ્યાસ કહે છે કે, હું ૬ માસનો હતો ત્યારથી જ થેલેસેમિયાની બિમારી હોવાનો ખ્યાલ આવ્યો. વર્ષ ૧૯૯૯ માં આ પ્રકારની બિમારી અંગે જાગૃતિ ન હોવાથી શરીરમાં લોહી ઘટવા લાગતા કેટલા દિવસે લોહી ચડાવવાનું તેવી કોઈ જ સમજ ન હતી. તે વખતે એવું મનાતું હતું કે, થેલેસેમિયાથી પીડિત બાળક ૧૫ થી ૧૬ વર્ષ માંડ જીવે છે. જેથી ડ્રાઈવિંગ કામ કરતા પિતા દિપકભાઈ અને માતા રેખાબેન પર જાણે આભ તૂટી પડ્યું હતું ત્યારે જસદણ રહેતા હોવાથી બ્લડ ચડાવવા રાજકોટ આવવું પડતું હતું. પરંતુ ધીમે ધીમે સમય જતા જાગૃતિ આવી અને પરિવાર સાથે રાજકોટ સ્થાયી થયા અને પરિસ્થિતિ પણ સુધરી જેથી લાઈફ બ્લડ બેંકમાંથી નિયમિત બ્લડ મળવા લાગ્યું અને સંકલ્પ જ્ઞઉન્ડેશન દ્વારા દર ૧૫ દિવસે બ્લડ ચડાવવામાં આવે છે. જયારે તેમના પત્ની ૨૨ વર્ષીય પાયલ વેગડા જણાવે છે કે, હું પણ સાડા ચાર માસની હતી ત્યારે થેલેસેમિયા મેજર હોવાનું નિદાન થતા માતા પ્રવિણાબેન અને પિતા કિરીટભાઈ પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો. જોકે હવે પરિસ્થિતિ સુધરી છે અને થેલેસેમિયા સાથે જીવતા અમે શીખી ગયા છીએ.
કોરોનામાં બ્લડ મેળવવામાં પરેશાની થતા શરીર ફ્ક્તિ અને આંખો પીડી પડવા લાગી હતી. જોકેહાલ કોઈ મુશ્કેલી નથી અને થેલેસેમિયાથી પીડાતા બાળકોને અમારો એક જ મેસેજ છે કે, ‘Every thing is possible in life’. જયારે ઘૂઘરા આરોગવા આવતી યુવતિ જાનકી અને મૌલિક પંડ્યા જણાવે છે કે, અહીના ઘૂઘરા ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને ઘૂઘરા વેંચતા પતિ-પત્ની થેલેસેમિયા મેજર હોવાનુંમાલૂમ પડતા બંનેની ખુમારી તમામ માટે પ્રેરણારૂપ છે.