દુષ્કર્મની પીડિતાની સગીર પુત્રી સાથે પણ છેડછાડ કરી હોવા છતાં મારી દુષ્કર્મની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, આરોપીને પકડવા માંજલપુર પોલીસે દોઢ લાખ પડાવ્યા છે તેવી ફરિયાદ પીડિતાએ પોલીસ કમિશનર અને એસીબીમાં પુરાવા સાથે કરી તપાસ કરવાની માંગ કરી છે. પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસ સોંપી છે.
1 મેએ મકરપુરા રહેતી મહિલા જ્યોતિષે માંજલપુર પોલીસ મથકે એની ઉપર પશ્ચિમ બંગાળના પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ કરી હતી. માંજલપુર પોલીસે મહિલા જ્યોતિષની સગીર પુત્રીઓ સાથે શારીરિક અડપલાની કલમ લગાવી નથી. આરોપીને કોલકતા પકડવા જવા માટે 80 હજાર અને બાદમાં 75 હજાર એમ 1.55 લાખ વકીલ મારફતે મહિલા પીએસઆઇએ લીધા હોવાનો આરોપ મહિલા જ્યોતિષે ફરિયાદમાં કર્યો છે.
પીડિતા પાસેથી આરોપીને પકડવા 1.55 લાખ પડાવ્યા બાદ પણ દુષ્કર્મના ગુના 376 અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ગંભીર કલમ હોવા છતાં આરોપી માત્ર 9 દિવસમાં જામીન ઉપર છૂટી ગયો છે. જેની પાછળ પોલીસની આરોપી સાથે મિલીભગત હોવાની શંકા પીડિતાએ ફરિયાદમાં વ્યક્ત કરી છે.
લેખિત ફરિયાદમાં પીડિતાએ માંજલપુર પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ રસીકા ચુડાસમા સાથે કોલકત્તા ગયેલા અન્ય ત્રણ કર્મીઓએ આરોપીને પકડવા વિમાનમાં જવા અને આવવાની ઉચ્ચ અધિકારી પાસેથી મંજૂરી લીધી છે કે કેમ એની પણ તપાસ કરવા માંગ કરી છે.