ડિજિટલ યુગમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ ઝડપભેર વધી રહ્યો છે પરંતુ હજુ 98 ટકા ગુજરાતીઓ ઘરવખરીની ખરીદી માટે ફિઝિકલ માધ્યમ જ અપનાવી રહ્યાં છે. એટલું જ નહિં કરિયાણાની ખરીદીની વાત આવે છે ત્યારે 86% લોકો તેમના પડોશી દુકાનદારને પ્રાધાન્ય આપે છે અને માત્ર 2% લોકો જ કરિયાણા ખરીદવા માટે એપનો ઉપયોગ કરે છે તેવો નિર્દેશ એક્સિસ માય ઈન્ડિયાના લેટેસ્ટ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સર્વેમાં બહાર આવ્યો છે.
સર્વે અનુસાર માત્ર 2% લોકો કરિયાણાની ખરીદી કરવા માટે ઇન્ટરનેટ એપ્સનો ઉપયોગ કરે છે. ઓનલાઈન ગ્રોસરી ખરીદનારા 17% ગ્રાહકો એમેઝોનનો ઉપયોગ કરે છે જ્યારે 15% ફ્લિપકાર્ટનો ઉપયોગ કરે છે. 8% લોકો જિઓ માર્ટમાંથી ખરીદી કરે છે. આ સર્વેમાં 10,207 લોકોના અભિપ્રાય સામેલ કરવામાં આવ્યા હતો. તેમાંથી 70% લોકો ગ્રામીણ વિસ્તારના અને 30% લોકો શહેરી વિસ્તારના હતા.
એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું કે ભારતની સ્થિર આર્થિક વૃદ્ધિ અને ઘટતી કિંમતો, મહિનાભરની તહેવારોની સીઝન સિવાય, છેલ્લા મહિનામાં ગ્રાહકોના વિશ્વાસમાં સુધારો થયો છે. ઓનલાઈન એપ હોવા છતાં સ્થાનિક કિરાણાની દુકાનો હજુ પણ દૈનિક કરિયાણાની ખરીદી માટે પ્રથમ પસંદગી છે.