રમઝાનના એક દિવસ પહેલાં શુક્રવારે પાકિસ્તાનના જામિયા હક્કાનિયા મદરેસામાં બોમ્બવિસ્ફોટ થયો હતો. આ હુમલો તાલિબાનના ગોડફાધરના પુત્ર હમીદુલ હક હક્કાનીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું છે. આ ઉપરાંત 4 વધુ લોકો માર્યા ગયા છે.
આ બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અકોરા ખટ્ટક જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસ અધિકારી અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે બોમ્બવિસ્ફોટમાં 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અત્યારસુધી કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
આ હુમલા બાદ પેશાવરની તમામ મોટી હોસ્પિટલોમાં કટોકટી લાદવામાં આવી છે. સમા ટીવીના અહેવાલ મુજબ, પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે એ એક આત્મઘાતી બોમ્બવિસ્ફોટ હતો. આમાં મસ્જિદના એક ભાગને પણ નુકસાન થયું છે.
ખૈબર પખ્તુનખ્વાના આઇજીના જણાવ્યા અનુસાર, આ હુમલો મૌલાના હમીદુલ હક હક્કાનીને નિશાન બનાવીને કર્યો હતો.
મૌલાના હમીદુલ હક્કાની તાલિબાનના ગોડફાધર મૌલાના સમી-ઉલ-હક હક્કાનીના મોટા પુત્ર છે. વરિષ્ઠ હક્કાની અફઘાન તાલિબાનના કટ્ટર સમર્થક હતો. તેણે 1947માં પાકિસ્તાનના સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક મદરેસાઓમાંના એક, દારુલ ઉલૂમ હક્કાનિયાની સ્થાપના કરી.
સમીઉલ હકે તાલિબાનની સ્થાપના કરી હતી અને મુલ્લા ઓમર સહિત ઘણા તાલિબાન નેતાઓને તાલીમ આપી હતી. મૌલાના સમીઉલ હક્કાનીની 2018માં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી હતી.