ધોરાજીના એક જ વર્ષના બાળક યુવરાજને હૃદયની જન્મગત ખામી હતી અને તેને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ ખામી દુર કરીને બાળકને નવું જીવન અપાયું છે. એક તબક્કે બાળકને કેમ જીવાડવું એ ચિંતા માતા પિતાને કોરી ખાતી હતી અને બાદમાં તેની સારવાર થતાં બાળક ફરી ખીલખીલાટ કરતું થઇ ગયું છે.
ધોરાજીમાં સામાન્ય પરિવારમાં બાળક યુવરાજનો જન્મ ગત વર્ષે બીજી માર્ચના રોજ થયેલો. તેના પિતા બીપીનકુમાર મજુરીકામ કરી પરિવારનો ગુજારો કરી રહ્યા છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ધોરાજીની આર.બી.એસ.કે ટીમના ડો.કુલદીપ મેતા અને ડો.ધ્રુવી માતરિયાએ ધોરાજીની આંગણવાડી કેન્દ્રની મુલાકાત સમયે યુવરાજના સ્વાસ્થનું સ્ક્રિનિંગ કર્યું હતું. આ તકે બાળ યુવરાજને હૃદયની કોઈ ખામી હોવાનું જણાયું હતું. તેની સઘન ચકાસણી માટે સિવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે તપાસ કરવા જણાવ્યું. જ્યાં તેમને હદયની ખામી હોવાનું નિદાન થયું અને વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ- અમદાવાદ ખાતે જવા જણાવ્યું હતું. આ વાત સાંભળી યુવરાજના માતા-પિતા નિરાશ અને દુઃખી થઇ ગયેલા. જેમને સધિયારો આપતાં આર.બી.એસ.કે. ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટીમે શાળા આરોગ્ય "રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ વિષે જણાવ્યુ હતું અને બાદમાં તેઓ આગળની સારવાર લેવા સહમત થયા. યુવરાજને યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ સંદર્ભ કાર્ડ ભરી રીફર કરાયા . નિષ્ણાત તબીબોએ તેને હૃદયની તકલીફ હોવાનું નિદાન કર્યું, ત્યાર બાદ નિષ્ણાંત ડોકટરોની ટીમે સર્જરી કરી યુવરાજની હૃદયની ખામી દૂર કરી હૃદયના ધબકારાઓને પુનઃ નિયંત્રિત કરી આપ્યાં. સર્જરી બાદ ગત બાળક યુવરાજની ફોલોઅપ તપાસ થઇ. જે મુજબ યુવરાજ સંપુર્ણ સ્વસ્થ હોવાના સુખરૂપ સમાચાર ડોક્ટર દ્વારા તેમના પરિવારજનોને આપ્યા હતા.