રાજકોટનાં યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં વોંકળાનું કામ ચાલી રહ્યું છે. હવે યાજ્ઞિક રોડ હેઠળથી વોંકળાનું વહેણ પસાર કરવાનું છે ત્યારે તાજેતરમાં પોલીસ કમિશનરે ચાર મહિના માટે યાજ્ઞિક રોડ બંધ કરવા જાહેરનામુ બહાર પાડયું હતું. તેના પગલે હવે આ રોડ બંધ કરવા મનપાની તૈયારી પૂર્ણતાનાં આરે છે. જોકે, થોડી તૈયારી બાકી હોવાને અને આવતીકાલે ડો. આંબેડકર જયંતિને લઈ સરઘસ આ રોડ પરથી પસાર થવાનું છે. જેને લઈને હવે મંગળવારથી યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકની બંને બાજુ 50-50 મીટર બંધ થવાની શક્યતા છે.
યાજ્ઞિક રોડ ઇતિહાસમાં પ્રથમ વખત બંધ કરવાનો છે પ્રાપ્ત વિગત મુજબ સર્વેશ્વર ચોકનાં વોકળાની કામગીરી ચાલી રહી છે. જેમાં વોકળાનાં વહેણને યાજ્ઞિક રોડથી પસાર કરવા ચાર મહિના માટે સર્વેશ્વર ચોકની બંને બાજુ 50-50 મીટર યાજ્ઞિક રોડ ઇતિહાસમાં પ્રથમવખત બંધ કરવાનો છે. અગાઉ શનિવારે યાજ્ઞિક રોડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ રોડ બંધ કરીને કામ શરૂ કરવા માટે મનપાની કેટલીક તૈયારીઓ હજુ બાકી છે. એટલું જ નહીં આવતીકાલે બંધારણનાં ઘડવૈયા ડો. આંબેડકરની જન્મજયંતિ છે. જેની ઉજવણી માટેનું વિશાળ સરઘસ પણ યાજ્ઞિક રોડ પરથી પસાર થવાનું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને હાલ તો રોડ બંધ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે અને મંગળવારથી રસ્તો બંધ કરવામાં આવે એવી શક્યતા છે.
આગામી મંગળવારે જાહેરનામા મુજબ રસ્તા બંધની કામગીરી કરી શકાશે રાજકોટ મનપાનાં સિટી ઇજનેર અતુલ રાવલે આ અંગે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું 8 એપ્રિલે મળ્યું હતું. બાદમાં સર્વેશ્વર ચોકની બંને બાજુ 50-50 મીટરનો યાજ્ઞિક રોડ બંધ કરવા માટે કોન્ટ્રાક્ટરને તૈયારી કરવા જણાવાયું હતું અને શનિવારથી જ રસ્તો બંધ કરવામાં આવનાર હતો પરંતુ, હજુ કેટલીક તૈયારી બાકી છે તેમજ આવતીકાલે આંબેડકર જયંતિનું એક વિશાળ સરઘસ પણ આ રોડ પરથી પસાર થવાનું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને હાલ યાજ્ઞિક રોડ બંધ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. સંભવતઃ આગામી મંગળવારે પોલીસના જાહેરનામા મુજબ રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરવામાં આવશે.