મેકડોવેલની વ્હિસ્કી બનાવતી કંપની યુનાઇટેડ સ્પિરિટ્સે IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને વેચવાના સમાચારને નકારી કાઢ્યા છે.
કંપનીએ કહ્યું- અમે કહેવા માંગીએ છીએ કે RCBમાં હિસ્સો વેચવાના સમાચાર સંપૂર્ણપણે અટકળો પર આધારિત છે. કંપની આવી કોઈ ચર્ચા કરી રહી નથી.
અગાઉ, બ્લૂમબર્ગના એક અહેવાલમાં, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે યુનાઇટેડ સ્પિરિટ્સ (USL) RCBને $2 બિલિયન એટલે કે લગભગ 17 હજાર કરોડ રૂપિયામાં વેચવાનું વિચારી રહી છે.
USL પહેલા વિજય માલ્યાની કંપની હતી. જ્યારે માલ્યા નાદાર થઈ ગયા, ત્યારે તેને બ્રિટિશ દારૂ કંપની ડિયાજીઓએ ખરીદી લીધી. ડિયાજીઓ RCBના માલિક બન્યા.
એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે RCB ડિયાજિયોના મુખ્ય દારૂના વ્યવસાયથી અલગ છે. તેને વેચીને, ડિયાજિયો ફક્ત તેના દારૂના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે RCBએ તાજેતરમાં 2025માં તેની પ્રથમ IPL ટ્રોફી જીતી છે. આનાથી RCBનું કોમર્શિયલ વેલ્યૂએશન વધ્યું છે. વેચાણ કરવાનો આ યોગ્ય સમય હોઈ શકે છે.
આ ઉપરાંત, એવી પણ વાત હતી કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય IPL જેવી મોટી રમતગમતની ઇવેન્ટમાં દારૂ અને તમાકુની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, ડિયાજિયો પોતાને IPLથી અલગ કરવા માગે છે.