34 દિવસ અગાઉ ગંભીરા થી મુંજપુરાના વચ્ચે મહિ નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ તુટી પડતાં પાદરા અને આંકલાવ તાલુકાના 30થી વધુ ગામોનો વ્યવહાર ખોરવાઇ જતાં ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. આંકલાલ, બોરસદ અને ખંભાત તાલુકાના છેવાડાના ગામોના બદલપુર, ધુવારણ, દહેવાણ, બામણગામ, ગંભીરા, નવાપુરા, ઉમેટા સહિતના ગામોમાંથી પાદરા જીઆઇડીસી ખાનગી કંપનીમાં નોકરી કરતાં 4700થી યુવકો ને નોકરી છોડવાનો વખત આવ્યો છે.
બંને તાલુકામાં અભ્યાસ કરતાં 3 હજારથી વધુ વિદ્યાર્થીને સ્કૂલ બદલવા સહિત કામગીરી અટવાઇ છે. તો વળી દૈનિક 70 ટન શાકભાજીની વ્યવહાર અટવાય જતાં ખેડૂતોને રોવાનો વખત આવ્યો છે. ત્યારે ગંભીરા થી મુંજપુરા વચ્ચે કામ ચલાઉ નાના અને મધ્યવાહનોની અવરજવર કરી શકે તેવો માર્ગ બનાવવાની માગ સાથે આણંદ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. બે દિવસમાં કામ ચલાઉ માર્ગ અંગે કાર્યવાહી નહીં કરે તો ગંભીરા ચોકડી પાસે તમામ ગામોના આગેવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગંભીરા બ્રિજ પાસે રસ્તો ના બનાવી શકાય તો જ્યાં છીછરુ પાણી વહે છે. તેવા ઉમલાવ થી બામણગામને નદી જોડતો કામ ચલાઉ રસ્તો બનાવી શકાય તેમ છે. આ ઉપરાંત સરકાર દ્વારા પોતાની નાવડી મુકીને રાહતદેર એક છેડે થી બીજા છેડે લઇ જવામાં આવે તો 30 ટકા પ્રશ્ન હલ થાય તેમ છે. સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કામ ચલાઉ માર્ગ છે. નાવડીમાં જોખમ રહેલ છે. સામે છેડે ઉતર્યા બાદ વાહનો મેળવવા માટે કવાયત કરવી પડે તેમ છે.