અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરના શંકાસ્પદ કેસની નોંધ થતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. સાવરકુંડલા તાલુકાના માનવ મંદિર આશ્રમ ગુરુકુળના એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આરોગ્ય-પશુ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી આ શંકાસ્પદ કેસની જાણ થતા જ અમરેલી આરોગ્ય વિભાગની ટીમ માનવ મંદિર પહોંચી હતી. ટીમે આશ્રમ, હોસ્ટેલ અને ગૌશાળામાં તપાસ હાથ ધરી હતી. પશુ વિભાગની ટીમો દ્વારા ગૌશાળામાંથી વિવિધ પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગૌશાળા તથા આસપાસના વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા મેડિકલ ઓફિસર એ.કે. સિંઘે આ શંકાસ્પદ કેસની પુષ્ટિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 12 વર્ષ પહેલા બાબરા તાલુકાના કરીયાણા ગામમાં કોંગો ફીવરના 8 જેટલા કેસ નોંધાયા હતા. તે સમયે સાવરકુંડલા, લીલીયા અને ધારીમાં પણ કોંગો ફીવરના કેસ જોવા મળ્યા હતા. વર્ષો બાદ ફરી શંકાસ્પદ કેસ સામે આવતા વિવિધ ડોકટરોની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.