પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના મામલે CBI હાલમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ નહીં કરે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે લોકપાલ દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવાની મંજૂરી રદ કરી દીધી છે. આ મંજૂરી 12 નવેમ્બરે આપવામાં આવી હતી.
જસ્ટિસ અનિલ ક્ષત્રપાલ અને હરીશ વૈદ્યનાથન શંકરની બેન્ચે કહ્યું- 'અમારું માનવું છે કે લોકપાલે આ મામલે ભૂલ કરી છે.' કોર્ટે લોકપાલને કહ્યું છે કે તે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમની કલમ 20 હેઠળ એક મહિનાની અંદર કાયદા અનુસાર ફરીથી નિર્ણય લે.
સુનાવણી દરમિયાન મહુઆ મોઇત્રાના વકીલે દલીલ કરી કે લોકપાલે મંજૂરી આપતી વખતે કાનૂની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. કાયદા મુજબ, કોઈ જનપ્રતિનિધિ વિરુદ્ધ મંજૂરી આપતા પહેલા તેમની ટિપ્પણી લેવી જરૂરી હોય છે, જે લેવામાં આવી ન હતી.
પહેલા આ મામલાને જાણો
આ મામલો ઓક્ટોબર 2023થી શરૂ થયો હતો. જ્યારે BJP સાંસદ નિશિકાંત દુબેએ મોઇત્રા પર મોંઘી ભેટો અને પૈસા લેવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાનીના ઇશારે અદાણી ગ્રુપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે લોકસભામાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો.
મહુઆ પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરવાનો પણ આરોપ લાગ્યો હતો. ત્યારબાદ આ મામલો લોકસભાની એથિક્સ કમિટીમાં મોકલી દેવામાં આવ્યો હતો, જ્યાં મહુઆ દોષિત ઠર્યા હતા. ત્યારબાદ મહુઆને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
લોકસભાની એથિક્સ કમિટીમાં મહુઆ દોષિત ઠર્યા બાદ. મામલો લોકપાલ પાસે પહોંચ્યો. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 હેઠળ સાંસદ (MP) લોકપાલના કાર્યક્ષેત્રમાં આવે છે. જો આરોપો લાંચ, લાભ, અથવા અયોગ્ય પ્રભાવ સાથે સંકળાયેલા હોય તો લોકપાલ તપાસ કરી શકે છે.