રાજકોટમાં ગૌવંશને કતલખાને લઈ જતી રિક્ષાને રોકતા ગૌરક્ષકને માર મારી છરીથી હૂમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પંચનાથ સોસાયટી વિસ્તારમાં શનિવારે(3 જાન્યુઆરી) રાત્રે ભેસવંશના પાડાને કતલ કરવા માટે ભરીને લઇ જવાના હોવાની બાતમીના આધારે ગૌરક્ષક સહિતના યુવાનોએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન પશુને ભરી લઈ જતી રિક્ષાને રોકવામાં આવી હતી.
જે બાદ રિક્ષાચાલક નાસવા જતા તેને અટકાવવામાં આવતા રિક્ષાચાલક દ્વારા અન્ય 6 શખસોને બોલાવતા ગૌરક્ષક કિશનભાઇને માર મારી છરીથી હૂમલો કર્યો હતો. જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના CCTV સામે આવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જયેન્દ્ર ઉર્ફે જેકી અનીલભાઇ ચંદવાણીયા (ઉં.વ.31,રહે.આજીડેમ પાસે સમપાર્ક સોસાયટી શેરી નં.2, અમીતભાઇ આહિરના મકાનમાં ભાડેથી) એ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જીવદયા અને ગૌરક્ષાનું કામ કરતા હોય 3 જાન્યુઆરીના હકીકત મળી હતી કે, વસીમ ઉર્ફે વાસલો બેલીમ લીલા કલરની CNG પેસેન્જર રીક્ષા (નં.GJ03CT 6458)માં સદર બજારમાં ભેસવંશના પાડાને કતલ કરવા માટે ભરીને લઇ જવાના છે. જેથી ગતરાત્રે વોચ ગોઠવી હતી.