અનેક દાયકાથી વિજ્ઞાનીઓ સોફ્ટ રોબોટ વિકસિત કરવામાં વ્યસ્ત છે. આ રોબોટ એ જીવથી પ્રેરિત છે, જેને કોઇ કામ માટે ઉપયોગી માનવામાં આવતું નથી, આ છે કરોડરજ્જૂ વગરના અળસિયા. જો કે અળસિયા કેટલીક અસાધારણ ખૂબીઓ પણ ધરાવે છે. અર્થાત્ તે માટીમાં ખૂબ જ સારી રીતે ખોદકામ કરી શકે છે અને સરળતાપૂર્વક ગમે ત્યાં જઇ શકે છે.
સ્વીડિશ યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચરલ સાયન્સના સંશોધક એલ્સા એરાજોલા અનુસાર અળસિયા ખૂબ જ લવચિક હોય છે અને જ્યાં અન્ય જીવ પહોંચી શકતા નથી તેવા સ્થળોએ પણ સરળતાથી ઘૂસી શકે છે. એટલે કે મશીનથી પણ શક્ય ન હોય તે કામ અળસિયા કરી શકે છે. આ જ કારણ છે કે રોબોટિક્સ અળસિયા વિજ્ઞાન, રક્ષા, ચિકિત્સા, કૃષિ જેવા અનેક ક્ષેત્રોમાં મદદરૂપ સાબિત થઇ શકે છે.ઇટાલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના સોફ્ટ રોબોટિક્સ ગ્રૂપના સંશોધકોએ એવા રોબોટનું નિર્માણ કર્યું છે, જે અળસિયાની જેમ સરકીને ચાલી શકે છે.
IITના મેકેનિકલ એન્જિનિયર રિદ્ધી દાસ કહે છે કે, આ ડિઝાઇન ખૂબ જ અસાધારણ છે. તેમાં રોબોટિક અળસિયાના હલનચલન માટે પોઝિટિવ અને નેગેટિવ પ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રોબોટિક અળસિયુ વજનમાં હળવું છે તેમજ તેમાં ભરેલી જેલને કારણે તેની હિલચાલ સરળ બને છે.અમેરિકાની નોટ્રે ડેમ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર યાસમીન જકેન કહે છે કે IIT ગ્રુપનું આ ઇનોવેશન રોબોટિક્સની દુનિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં બંને દિશામાં ચાલવાની ક્ષમતા છે. પરંતુ અત્યારે આ રોબોટિક અળસિયાનો આકાર ખૂબ જ મોટો છે. જો તેનો આકાર સામાન્ય અળસિયા જેટલો કરવામાં સરળતા મળે તો એન્ડોસ્કોપીમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટીનેશનલ કંપની GE પણ અળસિયા જેવા રોબોટનું પરીક્ષણ કરી રહી છે. તેનો ઉપયોગ ખોદકામ માટે કરવામાં આવશે.