Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં છેલ્લા કેટલાક સપ્તાહથી રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના મળી 1,868 કેસ નોંધાયા છે. તેમાં પણ ડેંગ્યુનાં સતત બીજા સપ્તાહમાં વધુ 19 કેસ નોંધાયા છે. એટલું જ નહીં મેલેરિયા 1 અને ચિકનગુનિયાનો 1 કેસ સામે આવ્યો છે. તો શરદી-ઊધરસનાં સૌથી વધુ 1034 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 10,000થી વધુ હોવાની શક્યતા છે.

પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 1798 સામે 1868 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઊધરસનાં ગત સપ્તાહનાં 940 કેસ સામે આ સપ્તાહે 1034 કેસ, ઝાડા-ઊલટીનાં 245 સામે 220 કેસ અને સામાન્ય તાવનાં પણ 588 સામે 585 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 19 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવનાં 8 દર્દીઓ તેમજ 1 કેસ મેલેરિયાનો સામે આવતા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.