સુરતના નવસારી બજારમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂન, 2025ની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. આ આપઘાત કેસનું રહસ્ય વધુ ઘેરાયું છે. અત્યાર સુધી કોઈ આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે અલગ-અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા સાથી મોડલો, મેકઅપ આર્ટિસ્ટ, કેમેરામેન સહિતનાના નિવેદન લેવાશે. આ સાથે જ મોડલનો આઈફોન ફેસલોક અને પીન લોક હોવાથી એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે ફોનના CDR(કોલ ડિટેઇલ રેકોર્ડ) મેળવીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા માતા, એક ભાઈ અને એક બહેન સહિતના પરિવાર સાથે રહેતી હતી. અંજલિ મોડલ તરીકે ચાર સ્ટુડિયો સાથે કામ કરતી હતી. જેમાં રેવન્યુ બાય અલકાઉઝેર સ્ટુડિયો, પીએમ સ્ટુડિયો, સ્ટુડીયો ડોટ અને સરદાર માર્કેટ પાસે આવેલો એક સ્ટુડિયો જે ફ્રીલાન્સ મોડલોને કામ આપે છે.
આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, 23 વર્ષીય અંજલિ વરમોરા ફ્રિલાન્સ મોડલિંગ કરતી હતી. સુરતના ચાર સ્ટુડીયો સાથે જોડાઈને તેમાં મોડલિંગનું કામ કરતી હતી. અંજલિની જેની સાથે સગાઈ થઈ છે તેની સાથે લગ્ન થવાના હતા. જોકે તેના ફિયાન્સની માતાનું મોત થઈ જવાથી આવતા વર્ષે લગ્ન થવાના હતા.