રવિવારે દુબઈમાં રમાયેલી એશિયા કપ મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું. આ મેચમાં ટૉસ સમયે કે જીત પછી કોઈ પણ ભારતીય ખેલાડીએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહોતો.
આથી નિરાશ થઈને પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમનીમાં પણ હાજર રહ્યો નહોતો. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મેચ રેફરીને ટુર્નામેન્ટમાંથી હટાવવાની માગ કરી છે.
પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના સવાલ પર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે, એશિયા કપના મામલે BCCI અને સરકારનું વલણ સ્પષ્ટ છે. આ જ કારણે ટીમ મેનેજમેન્ટ તરીકે અમે આ નિર્ણય લીધો.
બીજી તરફ, પાકિસ્તાનના હેડ કોચ માઈક હેસને જણાવ્યું કે, અમારી ટીમ મેચ પછી હાથ મિલાવવાની રાહ જોઈ રહી હતી, પરંતુ પાછળથી ખબર પડી કે ભારતે તેમની અવગણના કરી છે.