બાંગ્લાદેશના કાર્યકારી નેતા મોહમ્મદ યુનુસે પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝાને એક વિવાદાસ્પદ નકશો ભેટમાં આપ્યો છે, જેમાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવવામાં આવ્યા છે, જેનાથી વિવાદ ઉભો થયો છે.
જનરલ સાહિર શમશાદ મિર્ઝા અને મોહમ્મદ યુનુસ શનિવારે મોડી રાત્રે મળ્યા હતા, જોકે ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ વિવાદ પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.
યુનુસે પાકિસ્તાની અધિકારીને "ધ આર્ટ ઓફ ટ્રાયમ્ફ" નામનું પુસ્તક ભેટમાં આપ્યું. આ વિવાદ પુસ્તકના કવર પર છપાયેલા બાંગ્લાદેશના નકશાને કારણે ઉભો થયો છે.
આ કવરમાં સાત ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્યોને બાંગ્લાદેશના ભાગ રૂપે દર્શાવવામાં આવ્યા છે. કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો આ નકશાને "ગ્રેટર બાંગ્લાદેશ" તરીકે રજૂ કરે છે.
પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝા 24 ઓક્ટોબરના રોજ છ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ઢાકા પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે યુનુસ સહિત બાંગ્લાદેશના વરિષ્ઠ લશ્કરી અને નાગરિક નેતાઓ સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ વધારવા પર વાતચીત કરી હતી.
બેઠક દરમિયાન બંને દેશોએ વેપાર, રોકાણ અને સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી. જનરલ મિર્ઝાએ જણાવ્યું કે બંને દેશો લાંબા સમયથી સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે, અને તેઓ આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માગે છે. તેમણે વેપાર અને જોડાણ વધારવાની શક્યતાઓ પર પણ ચર્ચા કરી. જનરલ મિર્ઝાએ જણાવ્યું કે બંને દેશો એકબીજાને ટેકો આપશે.