સિડનીમાં રોહિત-કોહલીનો શૉ જોયા પછી ક્રિકેટ ચાહકોની નજર કેનબેરા T20 પર ટકેલી છે. અહીંના મનુકા ઓવલ સ્ટેડિયમમાં આજે વર્લ્ડ ચેમ્પિયન ભારતનો મુકાબલો નંબર-2 રેન્ક ઓસ્ટ્રેલિયા સામે થશે.
ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં એશિયા કપ જીત્યા પછી પહેલી T20 રમવાની છે. સૂર્યકુમાર યાદવ જ ભારતની કમાન સંભાળશે. જ્યારે મિચેલ માર્શ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
ટીમ ઈન્ડિયાને 3 વન-ડેની સિરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો, જોકે ટીમે સિડની વન-ડે 9 વિકેટે જીતી હતી. આ મેચમાં રોહિત શર્માએ 121 અને વિરાટ કોહલીએ 74 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
ટીમ ઈન્ડિયા આ સિરીઝથી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થનારા T20 વર્લ્ડ કપની તૈયારીઓ પણ શરૂ કરશે. સૂર્યકુમાર યાદવ છેલ્લા 1 વર્ષથી T20 કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેના પર ટાઇટલ ડિફેન્ડ કરવાની જવાબદારી છે. સૂર્યાએ મંગળવારે કહ્યું, 'આ વર્લ્ડ કપની તૈયારી છે, પરંતુ સિરીઝ ઘણી પડકારજનક રહેવાની છે. આશા છે કે અમારા માટે આ સિરીઝ સારી સાબિત થશે.'