ભારતની A ટીમ અને દક્ષિણ આફ્રિકાની A ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી આવતીકાલે 13 નવેમ્બરથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઇ રહી છે. ત્યારે આજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા ટીમે બપોરે 1થી 4 વાગ્યા સુધી અને ભારતની ટીમે સાંજના 5થી 7 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી હતી. આવતીકાલે બપોરના 1.30 વાગ્યે મેચ શરૂ થનાર છે અને આ મેચ નિહાળવા આવતા ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર અપાવી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે. બન્ને ટીમના તમામ ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલ ખાતે 10 દિવસ સુધી રોકાણ કરવાના છે.