મોહાલીમાં રમાયેલી 3 મેચની T20 સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. જેમાં કેમરુન ગ્રીનના 61 રન અને મેથ્યુ વેડના 45 રનની ધમાકેદાર ઇનિંગની મદદથી ભારતને હરાવ્યું હતુ. જોકે આ મેચમાં ભારતની હારનું કારણ ખુદ ટીમ ઈન્ડિયા જ છે. આ મેચમાં ટીમે ઘણી ભૂલો કરી હતી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપની ભૂલનું ઓસ્ટ્રેલિયા સામે પણ પુનરાવર્તન કર્યું હતું. તેણે રનચેઝમાં ફરી એકવાર બીજી ઇનિંગની 19મી ઓવર ભુવનેશ્વર કુમારને આપી હતી. આ ઓવરમાં ભુવીએ 15 રન આપી દીધા હતા. ભુવનેશ્વર કુમારનો ડેથ ઓવર્સમાં છેલ્લા થોડા વર્ષોથી ખરાબ રહ્યો છે. એટલે અન્ય કેપ્ટન ભુવીની બોલિંગનો ઉપયોગ પાવરપ્લેમાં જ કરી લેતા હતા. જ્યારે રોહિત એન્ડ ટીમ મેનેજમેન્ટ હજુ સુધી તેની પાસે ડેથ ઓવર્સમાં બોલિંગ કરાવે છે. એશિયા કપમાં પણ ભુવનેશ્વર કુમારે 19મી ઓવરમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે અનુક્રમે 19 અને 14 રન આપી દીધા હતા.
ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ નબળી ફિલ્ડિંગ રહી હતી. ટીમને રવીન્દ્ર જાડેજા જેવા ચપળ ફિલ્ડરની ખોટ વર્તાઈ હતી. ભારતીય ટીમના ફિલ્ડર્સે આ મેચમાં ખૂબ જ ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન આપ્યું હતું. કેમરુન ગ્રીન જ્યારે 41 રને હતો, ત્યારે હાર્દિકની બોલિંગમાં અક્ષરે મિડ વિકેટ ઉપર આસાન કેચ છોડ્યો હતો. તો સ્ટિવ સ્મિથ જ્યારે 19 રને હતો, ત્યારે અક્ષરની બોલિંગમાં કેએલ રાહુલે લોંગ ઑફ ઉપર કેચ છોડ્યો હતો. આમ ખરાબ ફિલ્ડિંગ ટીમ ઈન્ડિયાની હારનું કારણ રહી હતી.
ટીમ ઈન્ડિયાએ જ્યારે સૂર્યકુમારના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી, ત્યારે બધાને લાગતું હતું કે દિનેશ કાર્તિક ક્રિઝ ઉપર આવશે. પણ આશ્ચર્યજનક રીતે ટીમ મેનેજમેન્ટે નંબર 6 ઉપર દિનેશ કાર્તિકની જગ્યાએ અક્ષર પટેલને બેટિંગમાં મોકલ્યો હતો. અક્ષર પટેલ ચાલ્યો નહોતો અને તે 5 બોલમાં માત્ર 6 રને આઉટ થયો હતો. જો દિનેશ કાર્તિકને અક્ષરની જગ્યાએ બેટિંગમાં મોકલ્યો હોત, તો ટીમનો સ્કોર કંઈક વધુ હોત. કારણ કે છેલ્લા થોડા મહિનાઓથી કાર્તિકે ફિનિશરનો રોલ ખૂબ જ બખૂબીથી નિભાવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલી જગ્યાએ દિનેશ કાર્તિકને બેટિંગમાં મોકલવાની જરૂર હતી.