અમદાવાદમાં પૂરતી સંખ્યામાં ફાયર સ્ટેશનો અને ફાયરના જવાનો નથી. સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (એસએફએસી)ના નિયમ મુજબ, શહેરમાં 10 ચોરસ કિલોમીટરમાં 1 ફાયર સ્ટેશન હોવું જોઈએ. પરંતુ અત્યારે સરેરાશ 28.71 ચોરસ કિલોમીટરમાં એક જ ફાયર સ્ટેશન છે. ફાયર વિભાગમાં 236 જગ્યા ખાલી છે. 9 વર્ષમાં 18,684 આગના બનાવમાં 703.08 કરોડનું નુકસાન થયું છે. 1887માં અમદાવાદનો વિસ્તાર 5.72 ચોરસ કિલોમીટર મીટર હતો. જે હવે વધીને 480 ચોરસ કિલોમીટર અને વસતી અંદાજે 80 લાખ થઈ ગઈ છે. સામે ફાયર સ્ટેશનની સંખ્યા 19 છે. જેમાંથી 17 ચાલુ છે. 12 પૂર્વ અમદાવાદમાં અને 7 પશ્ચિમમાં છે. દાણાપીઠ અને ઓઢવ ફાયર સ્ટેશનનું કામ ચાલુ છે. ગોતા-ચાંદલોડિયામાં નવા ફાયર સ્ટેશનની 20 ટકા કામગીરી પૂરી થઈ છે.
રિસ્પોન્સ ટાઇમ 5થી 7 મિનિટને બદલે 10થી 15 મિનિટ થઈ ગયો ચાંદખેડા, નિકોલ, બોપલ, નરોડા, પાંચકૂવા, દાણાપીઠ સહિતના ફાયર સ્ટેશન અંદરની તરફ બનાવાયા છે. રિસ્પોન્સ ટાઇમમાં વધારો થાય છે. ફાયર સ્ટેશન મુખ્ય રોડ પર હોય તો રિસ્પોન્સ ટાઇમમાં ઘટાડો કરી શકાય છે. ફાયર બ્રિગેડમાં કોલ જતા 60થી 120 સેકન્ડ સુધીમાં જે-તે ફાયર સ્ટેશનથી ગાડી નીકળી જાય છે અને 10થી 15 મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચી જાય છે. નિયમ મુજબ રિસ્પોન્સ ટાઇમ 5થી 7 મિનિટનો હોવો જોઈએ. પરંતુ ફાયર સ્ટેશનોના ઘટના કારણે રિસ્પોન્સ ટાઇમ નિયમ કરતા 5થી 10 મિનિટ વધુ છે.